સુરત, તાપી નદીના ભાઠા ગામની દક્ષિણે નદીમાં હાથથી રેતી કાઢવાની મંજુરી આપી હોવા છતાં ભરતીના સમયે કેટલાક લોકો ગેરકાયદે ડ્રેજિગ કરીને મોટાપાયે રેતીખનન કરી રહ્યા હોવાની સ્થાનિક રૃંઢ મગદલ્લાના માછીમારોએ જિલ્લા કલેકટરને ફરિયાદ કરી છે. કઠોરથી શરૃ થતી તાપી નદીમાં રેતી કાઢવા પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક રેતી માફિયાઓ દ્વારા ભૂસ્તર વિભાગની નજર ચૂકવીને જયારે પણ તક મળે છે ત્યારે મસમોટા બાજ કે નાવડી લઇને તાપી નદીમાં ડ્રેંજિગ કરી રહ્યા છે. આવી ફરિયાદો ભૂસ્તરશાસ્ત્રીને મળતા ચારેબાજુ ચેકપોસ્ટ બનાવીને વોચ ગોઠવવાની શરૃઆત કરી છે. તેમ છતાં કેટલાક રેતી માફિયાઓએ ચોરીછુપીથી રેતીખનની પ્રવૃતિ ચાલુ જ રાખી છે.
તાજેતરમાં જ રૃંઢ મંગદલ્લાના માછીમારોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને ફરિયાદ કરી છે કે, તાપી નદીના પટમાં કેટલાકને હાથથી રેતી કાઢવાની મંજુરી આપી છે. તેમ છતાં ભાઠા ગામની દક્ષિણે તાપી નદીના કિનારે ૫૦૦ મીટર જેટલા વિસ્તારમાં ગેરકાયદે ૧૫૦ હોર્સ પાવરના એન્જીન ધરાવતા ડ્રેજર મશીનો મુકીને બાજમાં રેતી નાંખીને કિનારે પાઇપ લાઇન થકી રેતીનો વેપલો કરી રહ્યા છે. આ સ્થળે લગભગ ૩૫ થી વધુ ટ્રકો રેતી લેવા માટે ઉભેલી હોય છે. આ રેતી માફિયાઓ ભરતીના આજુબાજુના સમયે બાજ, નાવડીમાં ડ્રેજર મશીનો મુકીને આવે છે. અને પાછા રેતી ભરીને ચાલ્યા જાય છે. માછીમારોએ ગુગલ અને ડ્રોનથી લીધેલી તસ્વીરો પણ જિલ્લા કલેકટર સમક્ષ રજુ કરી છે. આથી આ બાબતે તપાસ કરીને રેતીચોરો સામે કાર્યવાહી કરવાની માંગ કરાઇ છે.
પાંડેસરા ની સોસાયટી નજીક ખુલ્લા મેદાનમાં પખવાડિયા અગાઉ પૈસાની લેતી દેતીમાં થયેલા લાકડાના ફટકાર તથા ઢિક મુક્કી નો બેરહમીપૂર્વક માર નો ભોગ બનેલા યુવકનું સારવાર દરમિયાન મોત. 15 દિવસ પહેલા રૂપિયાની લેતીદેતીમાં કાપડ દલાલ યુવકને મધરાત્રે ઢોર માર મારવામાં આવ્યો હતો. જેથી સારવાર માટે નજીકની હસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે, સારવાર દરમિયાન ગત મોડી રાત્રિએ કાપડ દલાલનું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. બીજી તરફ પોલીસે આ ગુનામાં ગત 26 મેના રોજ મારામારીનો ગુનો નોંધી પાંચ આરોપીઓની ધરપકડ કરી લાજપોર જેલ મોકલી આપ્યા છે ત્યારે યુવકનું મોત થતા આ કેસમાં હત્યાના ગુનાનો ઉમેરો કરી તપાસ હાથ ધરી છે. માર મારનાર મૃતકના પાંચ મિત્રો હાલ લાજપોર જેલ માં છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ આવિર્ભાવ સોસાયટીમાં રહેતા 31 વર્ષીય પંકજ મગનલાલ અગ્રવાલ(ઉ.વ. ૩૧ રહે. આર્વીભાવ સોસાયટી, પિયુષ પોઇન્ટ, પાંડેસરા) કાપડની દલાલીનું કામ કરતો હતો. પંકજે સોનુ નામના તેના મિત્ર પાસેથી કેટલાક રૂપિયા ઊછીના રૂપિયા લીધા હતા ત્યારે પંદર દિવસ પહેલા રૂપિયાની લેતીદેતીમાં સોનુ અને પંકજ બંને યુવકો વચ્ચે ઝઘડો થયો હતો. રૂપિયાની ઊઘરાણી માટે સોનુ તેના મિત્રોને લઈને કાપડ દલાલ પંકજના ઘર પાસે આવ્યો હતો અને રૂપિયાની ઉઘરાણી કરી હતી. આ દરમિયાન સોનુ સહિત તેના સાત મિત્રો મળી કાપડ દલાલ પંકજને ઢોર માર મારી ભાગી છુટ્યા હતા. જેમાં પંકજને તેના મિત્રોએ લાકડાના ફટકા તથા ઢીકમુક્કીનો બેરહમીપૂર્વક માર માર્યો હતો. ઇજાગ્રસ્ત પંકજને તુરંત જ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પાંડેસરા પોલીસે પંકજને માર મારનાર તેના મિત્ર અશોક ઉર્ફે સોનુ રાધેશ્યામ દિક્ષીત (ઉ.વ.૨૯ ૨હે. દીનદયાલનગર, પાંડેસરા), ક્રિષ્ણા ઉર્ફે લાલુ પોપટ ખરે (ઉ.વ.૨૦), મોહન બાકુ સોનવણે (ઉ.વ.૨૦) અને ફિરોઝ શુભરાતી મન્સુરી (ઉ.વ.૧૯ ત્રણેય રહે. નાગસેન નગર, પાંડેસરા), યોગેશ કાશીનાથ નિકુંબે (ઉ.વ.૨૭ રહે. ઇન્દિરાનગર, પાંડેસરા) વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. જેથી પંકજને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યારે 15 દિવસની સારવાર બાદ પંકજ અગ્રવાલનું ગત મોડી રાત્રિએ મોત થયું હતું. મૃતકના પાંચ મિત્રો હાલ લાજપોર જેલ માં છે. સારવાર દરમિયાન મોત થતા પોલીસે હત્યા ની કલમનો ઉમેરો કરવાની તાજવીજ હાથ ધરી છે.
આ ઘટનાને પગલે ACP ઝેડ આર દેસાઈએ જણાવ્યું હતું કે, ગયા મહિનાની તારીખ 19 અને 20 ની મધરાત્રીએ કાપડની દલાલી કરનાર પંકજ અને સોનું નામના ઈસમ સાથે રૂપિયાની લેવડદેવડની બબાલ થઈ હતી ત્યારે મધરાત્રિએ સોનુએ પોતાના સાગરીતો સાથે પંકજને માર માર્યો હતો. આ બાબતની રજૂઆત પંકજના પિતાએ ગત 26 મેના રોજ પાંડેસરા પોલીસ મથકમાં કરી હતી અને જણાવ્યું હતું કે, રૂપિયાની લેવડદેવડમાં મારામારી કરવામાં આવી છે. જેના આધારે પાંડેસરા પોલીસે 326નો ગુનો દાખલ કરી સોનુ અને તેના અન્ય ચાર સાગરિતો મળી પાંચ આરોપીની ધરપકડ કરી હતી. ઝેડ આર દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, કાપડ દલાલ પંકજની સારવાર દરમિયાન ગઈ રાત્રિએ મોત નીપજ્યું છે. સોનુ અને તેના મિત્રો દ્વારા પંકજને માર મારવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. જેથી પોલીસે હત્યાની કલમ-302નો ઉમેરો કર્યો છે. પોલીસની ઇન્વિસ્ટીગેશન દરમિયાન જાણવા મળ્યું છે કે, કુલ સાત જેટલા આરોપીઓએ પંકજને માર માર્યો હતો. જેમાંથી પોલીસે પાંચની ધરપકડ કરીને લાજપોર જેલ મોકલ્યા છે. અન્ય બે આરોપીઓની ધરપકડ બાકી છે, તેમને પકડવા માટે પોલીસની જુદી-જુદી ટીમો કામે લાગી છે અને આ ગુનામાં વધુ તપાસ કરી રહી છે.
સુરત શહર ના ભેસ્તાન વિસ્તારમાં થી અજીબો ગરીબ ઘટના સામે આવી છે. ભેસ્તાનના બાલાજી કોમ્પલેક્ષ નજીક સંગમ સોસાયટીમાં રહેતા અને કડિયા કામ કરતા દત્તુ ગિરિધર પાટીલ એ બે મહિના અગાઉ સચિન વિસ્તારમાં લાલાભાઇ સાથે કામ કર્યું હતું. પાટીલે કડિયા કામના રૂપિયા 35,000 લાલાભાઇને સમયસર આપ્યા ના હતા. જેથી લાલાભાઇએ મજદૂર સંઘ સમક્ષ ફરિયાદ કરતા સંઘએ બંને વચ્ચે સમાધાન કરાવી દર મહિને 5000 રૂપિયા ચૂકવવા ના આદેશ કર્યો હતો.
આદેશ મુજબ દત્તુએ ₹15,000 ચૂકવી દીધા હતા પરંતુ સમય તારે લાલાભાઇ ઉઘરાણી કરવા ઘરે આવી ગાલા ગાલી કરતો હતો. દરમિયાન દત્તુ ગતરોજ ભેસ્તાન વિસ્તારમાં કડિયા કામે ગયો હતો અને પરત આવ્યો ન હતો પરંતુ વેકેશનમાં ઘરે આવેલી પરિણીતી પુત્રીને દત્તુએ કોલ કરી લાલાભાઇ મને રૂપિયા માટે ઉપાડીને રાજપીપળા લઈ જાય છે ત્યારે લાલાએ ફોન પર વાત કરી ધમકી આપી હતી કે તત્કાલ રૂપિયા આપો અથવા કોઈપણ રીતે મને આપો નહીં તો તમારા બાપના હાથ પગ ભાંગી નાખીશ. ત્યારબાદ ચાર થી પાંચ વખત કોલ કરી કાલે સવારે દસ વાગ્યા સુધીમાં રૂપિયા નહીં આપો તો તમારા બાપને કાપીને ફેંકી દઈશ તેવી ધમકી આપી હતી. જેથી તેના પુત્ર તુષારે તુરંત જ પાંડેસરા પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. દત્તુની શોધ ખોળ કરતાં પોલીસએ ગુજરાત મધ્યપ્રદેશની બોર્ડર ના આબાજ ગામ પહોંચી હતી અને દત્તુને મુક્ત કરાવી અપહરણકાર લાલસિંહ વાદળીયા ઝુમરા ની ધરપકડ કરી હતી. જે કે પોલીસ પૂછપરછમાં દત્તુએ સ્વેચ્છાએ બાઈક ઉપર લાલસીંગ સાથે આવ્યો હોવાની કબુલાત કરતા પોલીસ પણ ચોકી ગઈ હતી.
વરાછાની વી-૩૨ નંબરનો દુકાનદાર ગરીબોના હકના અનાજ પર તરાપ મારી ઘઉં-ચોખાનો જથ્થો બારોબાર સગેવગે કરતા ઝડપાતા ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દુકાનદાર બંસીલાલ ખોઈવાલ સરકારી અનાજ અન્ય ગૂણમાં ટ્રાન્સફર કરી વેચી દેતો હતો. વ્યાજબી ભાવના દુકાનદારો યેનકેન પ્રકારે રેશનકાર્ડ ધારકોને ઓછું અનાજ આપી ઉપકલનું અનાજ બારોબાર વેચી પોતાના ગજવા ભરી રહીયો હતો. શહેરના અલગ અલગ વિસ્તારના દુકાનદારો ઓછું અનાજ આપતા હોવાની ફરિયાદ બારમ બાર આવતી રહે છે. ત્યારે આવા અનાજમાફિયાની સાન ઠેકાણે લાવવા માટે સુરત જિલ્લા પુરવઠા અધિકારી નીતિન સાવલિયાએ કાયદાનો કોરડો ઉગામ્યો છે. સરકારી અનાજ સગેવગે કરનારાઓ સામે એક પછી એક પોલીસ ફરિયાદ નોંધાવવાનો આરંભ કરતા અનાજ બારોબાર વેચી દેતાં દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
હાલમાં વરાછાના વ્યાજબી ભાવના દુકાનદાર વી-૩૨નો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં દુકાનદાર સરકારી અનાજ સગેવગે કરી રહ્યો હોવાનું જણાય રહ્યું હતું. જેને પગલે પુરવઠા અધિકારીએ તાત્કાલિક અસરથી તપાસનો આદેશ જારી કર્યો હતો. તેમજ તપાસના અંતે વી-૩૨ નંબરનો દુકાનદાર કસૂરવાર ઠરતા તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વરાછા પોલીસ મથકમાં બંસીલાલ છોગાજી ખોઈવાર અને સરકારી અનાજ ખરીદનાર રાજેશ ખટીક LA સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
સુરતના બે ભાઈએ સુરતથી કેદારનાથ સુધીની સાયકલ યાત્રાની શરૂઆત કરી છે. વિશ્વ સાયકલ દિવસે બે ભાઈ સનાતન ધર્મના સંદેશ સાથે કેદારનાથ સુધીની યાત્રા પર નીકળ્યા છે. જેઓ રસ્તામાં આવતા રોરકી, હરિદ્વાર, ઋષિકેશ, દેવપ્રયાગ, રુદ્રપ્રયાગ, ચોપતા, કર્ણપ્રયાગ, ગોપેશ્ર્વર, સોનપ્રયાગ મંદિરમાં દર્શન કરશે. બંને ભાઈનો સાયકલ પર જવાનો હેતુ સનાતમ ધર્મને આગળ વધારવાનો છે. 24 અને 26 વર્ષના બે ભાઈઓની સાયકલ યાત્રાસુરતમાં પર્વત પાટિયા વિસ્તારના મહાવીર નગરમાં રહેતા જયદિપ કથિરીયા (ઉંમર-24) અને ચિરાગ કથિરીયા (ઉંમર-26) વિશ્વ સાયકલ દિવસ નિમિતે બંને ભાઈ સુરતથી કેદારનાથ સાયકલ યાત્રા પર નીકળ્યા છે.
બંને ભાઈઓ દ્વારા સાયકલ પર જરૂરિયાતનો સામાન લગાવી દીધો હતો. 22થી 25 દિવસમાં યાત્રા પૂર્ણ કરવાનો અંદાજઆ બંને ભાઈઓની યાત્રા અંદાજિત 22-25 દિવસની રહેશે, તેવો અંદાજ લગાવ્યો છે. જેમાં વચ્ચે રસ્તામાં મંદિરના દર્શન કરશે. રસ્તામાં આવતા રોરકી, હરિદ્વાર, ઋષિકેશ, દેવપ્રયાગ, રુદ્રપ્રયાગ, ચોપતા, કર્ણપ્રયાગ, ગોપેશ્ર્વર, સોનપ્રયાગ મંદિરમાં દર્શન કરશે. બંને ભાઈનો સાયકલ પર જવાનો હેતુ સનાતમ ધર્મને આગળ વધારવાનો છે.
સુરત ચોક બજાર પોલીસે MD ડ્રગ્સ સાથે એક યુવકને ઝડપી પાડયો છે.વેડ દરવાજા નજીક પોલીસ વાહન ચેકીંગની કામગીરી કરી રહી હતી દરમ્યાન પોલીસે શંકાસ્પદ જણાતા યુવાનને ઝડપી પાડી તેની પાસેથી 93,200ની કિંમતનો 9.32 ગ્રામ એમ.ડી ડ્રગ્સ જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
શહેરના ચોકબજાર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ વેડ દરવાજા નજીક વાહન ચેકીંગ કરી હતી. તે દરમિયાન વેડ દરવાજા બ્રિજ નીચથી એક યુવાન આવી રહ્યો હતો અને તેની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવાને ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે દોટ લગાવીને પકડી લઇ તેની પૂછપરછ કરી હતી. જેમાં પોતાનું નામ શોહેબ ઉર્ફે શોહેબ વાનર કમર ખાન (ઉ.વ. 22 રહે. લાલમીયા મસ્જિદ પાસે, કાકરા મહોલ્લો, રામપુરા, લાલગેટ અને મૂળ. લલોવલી, જી. ફતેપુર, યુ.પી) હોવાનું અને તેની અંગ જડતી કરતા 9.32 ગ્રામ એમ.ડી ડ્રગ્સ કિંમત રૂ. 93,200 તથા એક આઇફોન મળી આવ્યો હતો. પોલીસે ડ્રગ્સ અને ફોન મળી કુલ રૂ. 1.28 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતમાં હજી ચોમાસુ શરૂ થાય તે પહેલાં જ રાંદેર ઝોનના બોટનિકલ ગાર્ડન નજીક આવેલા પાલિકાના ગરીબ ( ઈ ડબ્લ્યુ) આવાસના લાભાર્થીઓની હાલત ચોમાસા પહેલા જ કફોડી થઈ રહી છે. છેલ્લા એક મહિનાથી આ કેમ્પસમાં ડ્રેનેજ ઉભરાઈ રહી છે અને આઠથી વધુ ફરિયાદ થઈ છે તેમ છતાં પરિણામ શૂન્ય છે. છેલ્લા એક અઠવાડિયાથી આ કેમ્પસમાં ડ્રેનેજના પાણી ભરાયેલા હોવાથી 256 જેટલા પરિવારોના આરોગ્ય સામે ખતરો તોળાઇ રહ્યો છે. અનેક ફરિયાદ બાદ સમસ્યાનો હલ ન આવતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગરીબ આવાસમાં રહેતા લોકો કહે છે છેલ્લા એક મહિનાથી અહીની ડ્રેનેજના ચેમ્બરમાંથી પાણી ઉભરાતું હતું અને બે ચાર દિવસમાં સુકાઈ જતું હતું. પરંતુ આઠેક દિવસથી અહી ગટરના ગંદા પાણીનું તળાવ બની ગયું છે અને લોકોએ આ ગંદા પાણીમાંથી જવું પડી રહ્યું છે. કેમ્પસમાં બાળકો છે તેઓ પણ નીચે ઉતરે છે ત્યારે તેમની મુશ્કેલી પણ વધી રહી છે. એક અઠવાડિયાથી ગંદુ પાણી ભરાયું હોવાથી લોકોનું આરોગ્ય બગડી રહ્યું છે. આગામી દિવસોમાં વરસાદ આવશે એટલે સ્થિતિ વધુ બગડી જાય તેવી શક્યતા નકારી શકાતી નથી. વારંવાર ફરિયાદ બાદ પણ જો આ સ્થિતિમાં સુધારો ન આવે તો અનેક લોકો બીમાર પડી શકે તેવી ભીતિ છે.
સુરત પાલિકામાં હાલમાં પ્રિમોન્સુન કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.અનેક જગ્યાએ પ્રિમોન્સુન કામગીરી નબળી હોવાથી લોકોને મુશ્કેલી પડે તેવું કહેવાય રહ્યું છે. આવી ભીતિ વચ્ચે હાલમાં રાંદેર ઝોનના બોટનિકલ ગાર્ડન નજીક શ્રીજી નગરી સામે બનેલા પાલિકાના રહીશોની હાલત હાલ જ ખરાબ થઈ ગઈ છે. આ ગરીબ આવાસના કેમ્પસમાં 16 બિલ્ડીંગ છે અને 256 પરિવારો વસવાટ કરે છે. પરંતુ છેલ્લા એક મહિનાથી આ લાભાર્થીઓની હાલત કફોડી થઈ રહી છે. કેમ્પસમાં એક મહિનાથી ડ્રેનેજ ઉભરાઈ રહી છે. અને તેમાં પણ છેલ્લા એક સપ્તાહથી તો કેમ્પસમાં ગંદા પાણીનો ભરાવો થયો છે. સ્થાનિક રહીશો અત્યાર સુધીમાં આઠ કરતાં વધુ વખત ફરિયાદ કરી ચુક્યા છે પરંતુ કોઈ પરિણામ આવતું નથી. ચુંટાયેલા પ્રતિનિધિ કે પાલિકા કર્મચારીઓ પ્રશ્નનો ઉકેલ ન કરતા સ્થાનિકોએ માજી વિપક્ષી નેતા બાબુ કાપડીયાને રજુઆત કરી છે. તેઓએ પાલિકાના અધિકારીઓને રહીશોની હાલત જણાવી છે. છેલ્લા એક સપ્તાહથી ગરીબ આવાસના કેમ્પસમાં ગંદા પાણીનો ભરાવો થયો હોવાથી રોગચાળો ફેલાય તેવી ભીતિ હોવાની વાત કરી છે અને સમસ્યાનો હલ કરવા માટે રજુઆત કરી છે.
સુરતનું એક માત્ર હરવા ફરવાના સ્થળ એવા ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ માટે લાંબા સમયથી આયોજન થતું હતું. પરંતુ સી ફેઝ ડેવલપમેન્ટ માટેની જગ્યા પાલિકા, સરકારી અને ફોરેસ્ટ વિભાગની હોવાથી આયોજન શક્ય બન્યું ન હતી. પરંતુ સંકલન થતાં હવે પાલિકાને ડેવલપમેન્ટ માટે જગ્યા પણ મળવાનું શરુ થઈ જતાં હવે સી ફેઝ ડેવલપમેન્ટ ફાઇલ માંથી બહાર આવી રહ્યો છે અને હવે પહેલા તબક્કાના ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ ના પહેલા ફેઝના કામગીરી માટે 176.70 કરોડની ઓફર પણ પાલિકાને મળી ગઈ છે. સુરતના ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ માટે પાલિકાને ટીપી સ્કીમ હેઠળ 1.22 લાખ ચોરસ મીટર સરકારી જગ્યા નો કબજો મળી ગયો છે. આ ઉપરાંત હાલમાં 120 મીટરના ડી.પી. રોડ માટેની લાઈન દોરી પણ સૂચિત કરી દેવામાં આવી છે. આ જગ્યાએ ડીપી રસ્તા પૈકીની કેટલીક જગ્યાનો કબજો પણ પાલિકાને મળી ગયો છે જેના કારણે પહેલા તબક્કાના સી ફેઝ ડેવલપમેન્ટ માટે નો પાલિકાનો રસ્તો ખુલ્લો થઈ ગયો છે.
સુરત પાલિકાએ પહેલા તબક્કાના સી ફેઝ ડેવલપમેન્ટ માટે પાલિકાએ વિકાસની કામગીરી માટે 137 કરોડનો અંદાજ નક્કી કર્યો હતો. પાલિકાએ આ માટે ટેન્ડર જાહેર કર્યા બાદ હાલમાં પાલિકાને પહેલા તબક્કાના પ્રોજેક્ટ માટે 176.70 કરોડની ઓફર મળી છે. સુરત પાલિકા તંત્ર અને પદાધિકારીઓ સાથે ચુંટાયેલા પ્રતિનિધિઓ પણ ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ માટે ઉત્સુક છે તેના કારણે હવે ફાઈલમાં દબાયેલો આ પ્રોજેક્ટ તબક્કાવાર આગળ વધી રહ્યો છે. પાલિકાએ ટેન્ડર બહાર પાડ્યા હતા તેમાંથી બે એજન્સી ની ઓફર મળી છે. જેમાં વડોદરાની ક્યુબ કન્સ્ટ્રક્શને પાલિકાએ 184.45ક કરોડની ઓફર કરી છે જ્યારે સુરતની એમ.બી. બાબરીયાએ પાલિકાને લોએસ્ટ ઓફર એટલે 176.70 કરોડની ઓફર કરી છે. પહેલા તબક્કામાં રીક્રીએશન કંસ્ટ્રક્શન અને ઇકો ટુરિઝમ ડેવલપમેન્ટની કામગીરી સાથે સાથે પાંચ વર્ષના મેઈન્ટેનન્સ ની જવાબદારી સાથેની ઓફર પાલિકાએ મંગાવી હતી.આગામી નજીકના દિવસોમાં આ ઓફર અંગે નિર્ણય કરશે.
લિંબાયત નિલગીરી ફાટક પાસે રૂક્મણીનગરમાં દિકરીને ત્યાં રહેતા 105 વર્ષીય મથુરાબેન સોમાભાઈ તાયડે થોડો સમય પહેલા તેઓ પુત્રીને ત્યાં રહેવા માટે આવ્યા હતા. 105 વર્ષની ઉમરે પણ મથુરાબેન યુવાનોને પણ શરમાવે તેવી રીતે સ્વાસ્થ્ય ધરાવતાં હતા. ગુરૂવારે બપોરે જમીને તેમણે પોતાના વાસણ જાતે ધોયા બાદ પાણી પહેલા માળેથી નીચે ફેંકતા હાઈટેન્શન લાઈન પર પાણી પડતા તેમને કરંટ લાગ્યો હતો. તેઓ ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ બર્ન્સ વોર્ડમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન શનિવારે સવારે તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે લિંબાયત પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.
પાંડેસરાના ચીકુવાડી વિસ્તારમાં નોવા કોમ્પલેક્ષ ખાતે રહેતો જીજ્ઞેશકુમાર અનિલકુમાર દુબે (19) તે જ કોમ્પ્લેક્સ ખાતે ઈલેક્ટ્રિક રિપેરીંગની દુકાનમાં કામ કરતો હતો. શુક્રવારે બપોરે જીજ્ઞેશ બાઈક લઈ દુકાનનો સામાન લેવા માટે નીકળ્યો હતો. દરમિયાન જીજ્ઞેશ ખટોદરા કોમલ સર્કલ પાસેથી પોતાની બાઈક લઈ પસાર થતો હતો.ત્યારે પુરપાટ ઝડપે પસાર થતા એક BRTS બસના ચાલકે તેને અડફેટમાં લઈ લીધો હતો. જેને કારણે લોહીલુહાણ થઈ રસ્તા પર ઢળી પડ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા જીજ્ઞેશને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેના હાથના ભાગે ગંભીર ઈજા જણાતા તેને ઓર્થો વોર્ડમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. બનાવ અંગે ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે.