Home Blog Page 51

સુરતના ડીંડોલીમાં પ્રેમીને પામવા માતાએ અઢી વર્ષના પુત્રની હત્યા કરી

0
ક્રાંતિ સમય

સુરતના ડીંડોલી કરાડવા રોડ ખાતે નવી બંધાતી બિલ્ડીંગમાં માતા અને પુત્ર સાથે રહી મજૂરીકામ કરતી મૂળ છત્તીસગઢની મહિલાએ અઢી વર્ષના પુત્રની હત્યા કરી લાશ બિલ્ડીંગના લિફ્ટના પેસેજમાં નાંખી ગુમ થયાની જાણ કરી પોલીસને ચકરાવે ચઢાવી હતી. જો કે, શુક્રવારે માતાએ હત્યાની કબૂલાત કર્યા બાદ તા.૦૧/૦૭/૨૦૨૩ ના સવારે બિલ્ડીંગના લિફ્ટના પેસેજમાંથી જ બાળકની હત્યા કરેલી લાશ મળી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડીંડોલી કરાડવા રોડ ખાતે નવા બંધાતા લેકસીટી રેસીડેન્સીમાં છેલ્લા બે વર્ષથી માતા સુમનબેન અને અઢી વર્ષના પુત્ર વીર ઉર્ફે ભોન્દુ સાથે રહી ત્યાં ચણતરનું કામ કરતી મૂળ છત્તીસગઢની 22 વર્ષીય નયના સુખનંદન મંડાવીએ ગત 27 જૂને ડીંડોલી પોલીસ મથકમાં જાણ કરી હતી. તેનો પુત્ર 26મીએ બપોરે રમતા-રમતા ગુમ થઈ ગયો છે. ડીંડોલી પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જો કે, પાંચ વર્ષથી પતિથી અલગ રહેતી નયનાના પુત્રના અપહરણ અંગે પોલીસને નયના પર જ શંકા હતી. તેની ઉલટતપાસ કરતા શરૂઆતમાં તેણે પોલીસને ચકરાવે ચડાવી હતી. ત્યારબાદ પોતાના પુત્રની તેણે જ ગળું દબાવી હત્યા કર્યાની કબૂલાત કરી હતી.

હત્યાની કબુલાત કર્યા બાદ પણ તેણે બાળકની લાશ ક્યાં છુપાવી છે? તે પોલીસને મહિલા ગોળ-ગોળ ફેરવી ચકરાવે ચડાવ્યા હતા. બાળકના મૃતદેહ માટે મહિલાએ પોલીસ પાસે જમીનમાં ખાડા ખોદાવ્યા, તળાવ ફિંદાવી ચોક્કસ જગ્યા નહીં બતાવી પોલીસને ચકરાવે ચઢાવી હતી. બાદમાં તા.૦૧/૦૭/૨૦૨૩ ના રોજ મહિલાએ સાચી જગ્યા બતાવી હતી. પોલીસે સવારે અઢી વર્ષીય પુત્રની લાશ જ્યાં છે તે બિલ્ડીંગના લિફ્ટના પેસેજમાંથી જ મળતા પોલીસે લાશ કબ્જે કરી હત્યાના કારણ અંગે નયનાની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે હત્યારી માતાની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે તેના પ્રેમીને પામવા તેના અઢી વર્ષના બાળકની હત્યા કરી હતી.પ્રેમીએ તેના બાળક સાથે તેને અપનાવવાનો ઇનકાર કર્યો હતો. જેને લઇ પ્રેમ મેળવવા માસૂમની ગળું દબાવી હત્યા કરી હતી.

લિંબાયતમાં આધેડનો બળાત્કારનો પ્રયાસ, ટીવી જોતી 8 વર્ષની બાળાના કપડાં કાઢ્યાં

0
ક્રાંતિ સમય

મુળ યુપીનો વતની અને સુરતમાં લિંબાયતમાં રહેતો દત્તુ નામદેવ એકલવાયુ જીવન જીવે છે અને મજૂરીકામ કરી વતનમાં પરિવારનું ગુજરાન ચલાવે છે. આજુબાજુમાં રહેતા નાના બાળકો દત્તુના ઘરે ટીવી જોવા માટે જતા હતા. દરમિયાન દત્તુની સામે જ રહેતી 8 વર્ષની બાળકી પણ ત્યાં ટીવી જોવા જતી હતી. જેની ઉપર દત્તુની દાનત બગડી હતી. બુધવારે સવારના સમયે બાળકી ટીવી જોવા ગઇ ત્યારે દત્તુએ બાળકીના કપડા કાઢી નાંખી, પોતે પણ નગ્ન થઇ ગયો હતો અને બાળકીને પલંગ ઉપર સૂવડાવી પોતે તેની ઉપર સૂઇ ગયો હતો. બાળકીની માતા તેણીને શોધી રહી હતી ત્યારે એક વ્યક્તિએ તેણીને કહ્યું કે, આ બાળા દત્તુના ઘરે ટીવી જોતી હતી. દરમિયાન મહિલા ત્યાં તાત્કાલીક પહોંચીને દરવાજો ખોલતા જ નગ્ન બાળકી ઉપર નગ્ન દત્તુને જોઇ ચોંકી ઉઠી હતી. મહિલાએ ઝડપભેર બાળકીને પોતાની બાહોમાં લેતા બુમાબુમ કરી હતી અને આજુબાજુના લોકોને બોલાવી દત્તુને માર માર્યો હતો. આ સાથે જ પોલીસને પણ જાણ કરવામાં આવતા લિંબાયત પોલીસે દત્તુની સામે છેડતીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

સુરતના ઈચ્છાપુરમાં આવેલી સવજી ધોળકિયાની હરેકૃષ્ણ એક્સપોર્ટ હીરા કંપનીમાં આગ લાગી હતી

0
ક્રાંતિ સમય

સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી જીએમ ડાયમંડ પાર્કમાં સવજી ધોળકિયાની હરેકૃષ્ણ એક્સપોર્ટ કંપનીમાં આગની ઘટના બની હતી. સવારના સમયે આગ લાગતા રત્નકલાકારોમા ડરનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર આગ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર બ્રિગેડના અડાજણ અને પાલનપુર સ્ટેશનની પાંચ ગાડીઓ હાઇડ્રોલિક સાથે પહોંચી ગઈ હતી. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જેમાં સોફા, કોમ્પ્યુટર, વાયરીંગ સહિતનો સામાન મળીને ખાક થયો હતો. કોઈ ઇજા જાનહાનીનો બનાવ સામે આવ્યો નથી.

ફાયર ઓફિસર સંપત સુથારે જણાવ્યું હતું કે, પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આગ એટલી પ્રચંડ હતી કે, ત્રીજા માળના ફર્નિચર, સોફાસેટ, કોમ્પ્યુટર સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. વધુમાં જણાવ્યું હતું કે, આગ સવારના સમયે લાગી હોવાથી રત્નકલાકારો ઓફિસમાં હાજર હતા. જેઓને આગની જાણ થતાં નીચે આવી ગયા હતા. સમગ્ર દુર્ઘટનામાં કોઈ ઇજા જાનહાનિ થઈ નથી. હાલ તો આગનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અવું છે.

સુરત સિવિલના સર્જરી વિભાગ સહિત 6 વોર્ડમાં પ્રથમ વરસાદે પાણી ટપકવા લાગ્યું

0
ક્રાંતિ સમય

સુરત સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં થોડા મહિના પહેલા રિપેરિંગ કામ કરાયું હતું. જેમાં છ માસ અગાઉ રિપેર કરાયેલી સ્પેશિયલ રૂમોમાં રિપેરિંગ કામગીરી ફક્ત કાગળ પર થઈ હોય તેવી હકિકત સામે આવી છે. શહેરમાં વરસાદનું જોર વધવા સાથે સિવિલના સર્જરી વોર્ડ સહિત સ્પેશિયલ રૂમમાંથી 1, 2, 4, 8 અને 7 નંબરની વોર્ડમાં સતત પાણી ટપકી રહ્યું હોવાની ફરિયાદ ઉચ્ચ તબીબી અધિકારીઓને થઈ છે. ઉચ્ચ તબીબી અધિકારીઓ દ્વારા પીઆઈયુના અધિકારીઓને સાથે રાખી સ્પેશિયલ રૂમોમાં રાઉન્ડ લઈ ફરી પાટાપિંડી કરવા સૂચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. એક-બે નહીં પણ પાંચ-છ રૂમોમાં પાણી ટપકવાને લીધે કરવામાં આવેલી રિપેરિંગ કામગીરી સામે સવાલ ઊઠવા પામ્યા છે. સિવિલ હોસ્પિટલના સર્જરી અને સ્પેશિયલ વોર્ડની આવી દશાથી દર્દીઓ પણ પરેશાન થઈ રહ્યા છે. તબીબી અધિકારીઓ વચ્ચેના મતભેદના કારણે બિલ્ડિંગને લઈને કોઈ ખાસ નિર્ણય કરવામાં આવી રહ્યો ન હોવાની ચર્ચા ચાલી રહી છે.

સુરતનાં ભાજપ મહિલા કાઉન્સિલરે બાંધકામ માટે એક કાઉન્સિલરદીઠ 40 હજાર રૂપિયા માગ્યા, AAPએ સ્ટિંગ ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો

0
ક્રાંતિ સમય

આમ આદમી પાર્ટીએ સુરતનાં ભાજપનાં મહિલા કાઉન્સિલર દ્વારા તેમના વિસ્તારમાં બાંધકામ કરવા માટે પૈસાની માગણી કરી હોવાનો સ્ટિંગ ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો છે. પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ પ્રેસ-કોન્ફરન્સ કરીને આ વીડિયો જાહેર કર્યો હતો. સ્ટિંગ ઓપરેશન મુદ્દે ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાનાં ભાજપનાં એક મહિલા કાઉન્સિલર વૈશાલી પાટીલ (વોર્ડ નંબર 29) તથા તેમના પતિ રાજેન્દ્ર પાટીલ અને ભરતભાઈએ પોતાના વિસ્તારમાં બાંધકામ કરવા માટે એક કાઉન્સિલરદીઠ 40 હજાર રૂપિયા અને ચાર કાઉન્સિલર એટલે કે વૈશાલી પાટલી, સુધાબેન પાંડે, બંશુ યાદવ અને કનુ પટેલના કુલ 1.60 લાખ રૂપિયા રાઉન્ડ ફિગરમાં એક લાખ પચાસ હજાર રૂપિયા માગ્યા છે. મહાનગરપાલિકાના અધિકારીને પણ ત્રણ લાખ ચૂકવવા પડશે. ભાજપના કાઉન્સિલર દ્વારા મહાનગરપાલિકાના અધિકારીને બદનામ કરવાનું ષડયંત્ર છે. આ સ્ટિંગ ઓપરેશનમાં કોઈ અધિકારીનું નામ લેવામાં આવ્યું નથી. સુરતની જનતા અને સાથે સાથે ગુજરાત તેમજ દેશની જનતાએ સમજવાની જરૂર છે કે તમે જેમને ચૂંટીને મોકલો છો તેઓ સુવિધાના કામને પ્રાથમિકતા આપવાની જગ્યાએ પોતાનાં ખિસ્સાં ભરવાના કામને પ્રાથમિકતા આપે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ઘટનામાં જે પીડિત વ્યક્તિ છે તેણે થોડા સમય પહેલાં અમારી સમક્ષ આ બાબતની વ્યથા રજૂ કરી હતી. તેમણે તારીખ 5 એપ્રિલ 2023ના રોજ અમદાવાદ એસીબીને લેખિતમાં ફરિયાદ કરી હતી. લેખિત ફરિયાદને આજે અઢી મહિના જેટલો સમય થઈ ગયો તો પણ કોઇપણ પ્રકારનાં પગલાં લેવામાં આવ્યાં નથી. ગુજરાતની ભાજપ સરકાર અને એસીબી સમક્ષ અમારી માગણી છે તેમજ ગુજરાત પોલીસને પણ વિનંતી કરીએ છીએ કે આટલા મજબૂત પુરાવા હોવા છતાં ભાજપના કાઉન્સિલર પર કોઈપણ પ્રકારનાં પગલાં લેવાયાં નથી. આ બાબતની તપાસ થવી જોઇએ. અમે પીડિત વ્યક્તિનું નામ નહીં જણાવી શકીએ. જો એસીબી ધારે તો તેમનું નામ જાહેર કરી શકે છે અથવા તો ગુપ્ત રાહે પણ તપાસ કરી શકે છે. આમાં જે પણ લોકો આરોપી છે તેમની પર કાર્યવાહી પણ કરી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે કોઈના પર કોઈ આરોપ નથી મૂકતા, પરંતુ અમે એસીબી સમક્ષ માગણી કરીએ છીએ કે તમામ આરોપોની તપાસ થાય અને એસઆઇટીની રચના કરીને તપાસ કરીને જે પણ લોકો ગુનેગાર છે તેમને જેલમાં મોકલવામાં આવે. આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારને જરા પણ સહન કરતી નથી. દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે પોતાના મંત્રીઓ પર પણ કાયદાકીય કાર્યવાહીઓ કરી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે એસીબીએ એક વખત એક છટકું ગોઠવ્યું હતું, પરંતુ મહિલા કાઉન્સિલર અને તેમના મળતિયા ભરતભાઈ એ સમયે આવ્યા નહીં. તો મારો સવાલ એ પણ છે કે એસીબીએ છટકું ગોઠવ્યું છે એની જાણ આ લોકોને કઈ રીતે થઈ? આમ આદમી પાર્ટીના કે વિપક્ષના કોઈ નેતા કોઈ સામાન્ય વાત કરે તો પણ તેમના પર ફરિયાદ થઈ જાય છે, તો આ લોકો પર અત્યારસુધી તપાસ કેમ નથી થઈ? આ બાબતમાં ફરિયાદીને એક વખત જવાબ લખવા માટે પણ બોલાવ્યા હતા. ગયા મહિનાની 4 તારીખે તેમણે પોતાનો જવાબ પણ લખાવી દીધો છે અને તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વીડિયોમાં લાલ કલરના શર્ટમાં કાઉન્સિલરના પતિ રાજેન્દ્ર પાટીલ છે તથા જે બેન દેખાય છે તે વોર્ડ નંબર 29નાં ભાજપનાં કાઉન્સિલર વૈશાલી પાટીલ છે. ટીશર્ટમાં દેખાતી વ્યક્તિ ભરત પટેલ છે, જે તેમના મળતિયાના રૂપે કામ કરે છે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતાં જણાવી કે વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે કોર્પોરેટર દ્વારા નાણાંની માગણી કરવામાં આવી છે. એસીબીમાં ફરિયાદ થઈ છે અને એસીબીએ છટકું ગોઠવ્યું તો એની માહિતી પણ તે લોકોને પહોંચી ગઈ છે. એનો મતલબ એમ છે કે સિસ્ટમ ફૂટેલી છે. એસીબીને લેખિતમાં ફરિયાદ કર્યા છતાં પણ એસીબીએ કોઈ કાર્યવાહી નથી કરી. એનો મતલબ એવો ગણી શકાય કે સુરતના કોઈ મોટા નેતાએ એસીબી પર કોઈ દબાણ કર્યું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. વારંવાર આપણે જોતા આવ્યા છીએ કે ભાજપના નેતાઓ દ્વારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને તોડવાની કોશિશ કરવામાં આવે છે અને તેઓ લાલચ આપે છે કે આમ આદમી પાર્ટીમાં રહીને ભ્રષ્ટાચાર નહીં કરી શકો તો ભાજપમાં આવી જાઓ, અહીં મહિને પાંચ લાખ રૂપિયાનો તોડ પણ કરવા મળશે અને જો કોઈ એસીબીમાં ફરિયાદ કરી દે તો ઉપરના નેતાઓ પણ એસીબીને ફોન કરીને જાણ કરી દે છે કે આમને પકડવાના નથી.

ભાજપમાં નેતાઓ કહેતા હોય છે કે આપણે નરેન્દ્ર મોદીના નામે વોટ માગીને જીતી જવાના છીએ અને જેટલો પણ ભ્રષ્ટાચાર કરીશું એને લોકો ભૂલી જવાના છે. આજે દરેક જગ્યા પર ભ્રષ્ટાચાર છે અને કમિશન આપ્યા વગર કામ થતું નથી. તપાસના નામે પણ કંઈ થતું નથી. હું સીઆર પાટીલને વિનંતી કરું છું કે તેઓ આ ભ્રષ્ટાચારના મુદ્દે ખુલાસો કરે કે તેઓ શું માને છે. તેમણે જણાવવું પડશે કે તેઓ આ કોર્પોરેટરોને ચાલુ રાખવા માગે છે કે સસ્પેન્ડ કરવા માગે છે અને જો તેમને ચાલુ રાખવામાં આવશે તો એનો સ્પષ્ટ મતલબ થાય છે કે તેઓ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી રહ્યા છે.અમારી માગણી છે કે SITની રચના કરવામાં આવે અને એમાં હાઇકોર્ટના નિવૃત્ત જજના અંતર્ગત તપાસ થાય, કારણ કે અમને એસીબીમાં પણ ગડબડ હોય એવું લાગી રહ્યું છે, આ સાચું છે કે ખોટું એ તો તપાસમાં બહાર આવશે. અમારા વિપક્ષના નેતાએ પણ પુરાવા એકઠા કર્યા છે. ગુજરાતમાં ક્યાંય પણ ભ્રષ્ટાચાર થતો હોય તો અમે એને જોઈને બેસી રહીશું નહીં. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ભાજપના નેતાઓ વારંવાર કરી રહ્યા છે કે 50 લાખથી એક કરોડ રૂપિયા લઈને ભાજપમાં આવી જાઓ અને ત્યાર બાદ તમે ભાજપમાં આવીને લૂંટ ચલાવો.

નવાગામ ડીંડોલી વિસ્તારમાં તંત્રની બેદરકારીએ અબોલનો જીવ લીધો, કરંટ લાગતા 2 પશુના મોત

0
ક્રાંતિ સમય

સુરત મહાનગરપાલિકા દ્વારા નવાગામ ડિંડોલી ભરવાડ નગરના સ્ટ્રીટ લાઈટના એસએચ એલ 46 નંબરના પોલમાં વાયર ખુલ્લા રાખવામાં આવ્યો હોવાથી ઘટના બની છે. ઘટનામાં કરંટ લાગતા 2 અબોલ જીવ મૃત્યુ પામ્યા છે. કરંટ લાગવાને કારણે ત્યાંથી પસાર થતી બે ગાયનું મોત થયું. ગાયને લઈ જનાર ત્યાંના વ્યક્તિનો પણ આ બાદ બચાવ થયો હતો. તેને કરંટ લાગે તે પહેલા જ તે પશુઓથી દૂર જતો રહ્યો હતો. પાછળ ચાલતા વ્યક્તિ અને બીજા 2 ગાયના જીવ બચી ગયા છે. સ્ટ્રીટ લાઇટની વારંવાર કમ્પ્લેન કર્યા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી.

ભરવાડનગરમાં રહેતા મેહુલ ભરવાડે જણાવ્યું હતું કે, વારંવાર આ વીજ પોલ અંગે સ્થાનિક નેતાઓને અને અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી. વીજપોલ ઉપરની લાઈટ દિવસ અને રાતે સતત ચાલુ રહેતી હતી. તેમજ તેના જે વાયર હતા, તે પણ ખુલ્લા હતા. આ બાબતે કોઈ મોટી ઘટના બની શકે છે. આ પ્રકારની વાત અમે કરી હતી, પરંતુ તેને ગંભીરતાથી લેવાય નથી. બે ગાયે જીવ સુરત મહાનગરપાલિકાના કારણે ગુમાવ્યા છે. પશુપાલક ખૂબ જ ગરીબ હોવાથી તેને આર્થિક રીતે કોર્પોરેશન દ્વારા મદદ આપવી જરૂરી છે. ચોમાસા દરમિયાન આ પ્રકારની ઘટના બને તો અહીં રમતા બાળકોનો તેમજ અન્ય અહીંથી પસાર થતા લોકોનો પણ જીવ જોખમમાં મુકાય શકે છે.

અસામાજિક તત્વોની 150 શંકાસ્પદ જગ્યાઓએ તપાસ, 361 ઇસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી, 52 હજારનો દંડ વસુલવામાં આવ્યો

0
ક્રાંતિ સમય

સુરત પોલીસ દ્વારા શાંત અને સલામત સુરત તથા નો ડ્રગ્સ ઇન સુરત ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત શહેરમાં ગુનાખોરી અટકાવવા માટે ઝોન 5 કાર્યક્ષેત્ર હેઠળના ઉત્રાણ, અમરોલી, જહાંગીરપુરા, રાંદેર, અડાજણ, પાલ પો.સ્ટે. વિસ્તારમાં કેટલાક પાનના ગલ્લાઓ અને ચાની કીટલી તથા અન્ય આવા અસામાજિક તત્વોની ઉઠક બેઠકવાળી જગ્યાઓ પર આકસ્મિક સર્ચ ઓપરેશન પોલીસ દ્વારા યોજવામાં આવ્યું હતું. આ કામગીરી કરતા પહેલા પોલીસ દ્વારા સમગ્ર ઝોનમાં આવી કેટલી જગ્યાઓ છે તે બાબતે ખાનગી રીતે જગ્યાઓનો સર્વે કરવામાં આવ્યો હતો. બાદમાં પોલીસ દ્વારા આ જગ્યાઓ પર સર્ચ ઓપરેશન કરી ત્રણ કલાકમાં કુલ 361 ઇસમો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ ડ્રાઇવમાં પીઆઇ સહીતના અધિકારીઓની ટીમ બનાવવામાં આવી હતી અને ઉપરી અધિકારીઓ દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું હતું.

આ ડ્રાઇવ દરમિયાન પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરના તથા ફોલ્ટી નંબર પ્લેટવાળા વાહનો વિરૂદ્ધ એમવી એક્ટ કલમ 207 મુજબ 63 કેસ, કાળા કાચવાળા વાહનો તથા ત્રિપલ સવારી પાસેથી 32,300નો દંડ, પીધેલા તથા ડ્રગ્સ લીધેલા ઇસમો વિરૂદ્ધ 12 કેસ, નશો કરીને વાહન ચલાવનાર વિરૂદ્ધ 5 કેસ, હથિયાર સાથે જી.પી.એક્ટ 135ના 22 કેસ, ટ્રાફિક અવરોધ તેમજ પૂર ઝડપે વાહન હંકારનાર વિરૂદ્ધ 28 કેસ, ઇ સિગારેટના 5 કેસ, ગેરકાયદે સ્મોકિંગ ઝોનના 3 કેસ, ગેરકાયદે ચિલમ હુક્કાના 8 કેસ, ફોઇલ પેપર-સિગારેટ પેપરના 9 કેસ આ ઉપરાંત શંકાસ્પદ વ્યક્તિઓ/ ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓ વિરૂદ્ધ 34 કેસ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તડીપાર હુકમ ભંગના 2 કેસ કરવામાં આવ્યા હતા. આમ 3 કલાકની અંદર જ પોલીસ દ્વારા 361 ઇસમો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી અને 32,300નો દંડ વસુલવામાં આવ્યો હતો.

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં દારૂની એક-બે બોટલ નહીં, પણ પેટીઓ જોવા મળી, પોલીસ કેમ અજાણ?

0
ક્રાંતિ સમય

ગાંધીના ગુજરાત માં દારૂ બંદી હોવા છતાં સુરત શહેરમાં સમયાંતરે દારૂના વેચાણને લઈને ચર્ચા થતી રહે છે. અલગ અલગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો પણ થતા રહે છે. જોકે કેટલીક જગ્યાએ ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાના વીડિયો પણ સામે આવે છે. હાલમાં જ વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં જહાંગીરપુરામાં બે રોકટોક રીતે દારૂનું વેચાણ થતું હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. આ બાબતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ પી.ડી. તમારે જણાવ્યું હતું કે અમારા ધ્યાન પર દારૂનું વેચાણ થતું હોવાનું આવશે તો કાયદેસરનાં પગલાં લઈશું.

હાલ એક વીડિયો સામે આવ્યો છે. જે વીડિયો જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારનો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ વિસ્તારમાં તાપી નદી કિનારે ઇન્ટેકવેલ પાસે દારૂનું બેફામ રીતે વેચાણ થઈ રહ્યું છે. જોકે મહત્ત્વની બાબત એ છે કે ત્યાંના સ્થાનિક લોકો પણ માને છે કે આ વિસ્તારમાં દારૂનું બેફામ રીતે વેચાણ થઈ રહ્યું છે. કેટલીક વખત અહીં દારૂ પીવા આવતા લોકો સાથે સ્થાનિક લોકોની માથાકૂટ થતી રહે છે.

ગઈકાલે તાપી નદીના જન્મદિવસની ઉજવણીનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. ત્યાર બાદ સ્થાનિક લોકોના ધ્યાનમાં વાત આવી હતી કે ઈન્ટેકવેલ અને વોકવેના રસ્તો પર દારૂનું વેચાણ થઈ રહ્યું છે. દર રોજ મોડી સાંજે મોટી સંખ્યામાં લોકો અહીં દારૂ પીવા માટે પહોંચી જાય છે. આ જ સમયે કેટલાક પરિવારના લોકો પણ તાપી નદીના કિનારે ચાલવા નીકળતા હોય છે. પોતાના વિસ્તારમાં બેફામ રીતે થતા દારૂના વેચાણ અંગે પણ સ્થાનિક પોલીસને જાણ ન હોય એ માની શકાય નહીં. પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈને પગલાં લેવા જોઈએ.

‘બકરી ઈદ’ના તહેવારની ઉજવણીના અનુસંધાને શહેરમાં જરૂરી જાહેર પ્રતિબંધો

0
ક્રાંતિ સમય

આગામી તા.૨૯/૬/૨૦૨૩ના રોજ મુસ્લિમ ધર્મના તહેવાર ‘બકરી ઈદ’ની ઉજવણી દરમિયાન સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ ઉદ્દેશથી પોલિસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે અનુસાર કોઈપણ વ્યક્તિએ કોઈપણ પશુની જાહેર કે ખાનગી જગ્યામાં, શેરીઓમાં કે મહોલ્લામાં વગેરે જગ્યાએ જાહેર જનતાને દેખાય તે રીતે કતલ કરવી નહિં તેમજ કોઈપણ પ્રાણીને શણગારીને એકલા કે સરઘસમાં જાહેરમાં લઈ જવા કે ફેરવવા પર તેમજ તહેવારની ઉજવણી બાદ કુરબાની પછી જાનવરના માંસ, હાડકા કે અવશેષો જાહેરમાં ફેંકવા પર પ્રતિબંધો મૂકવામાં આવે છે. આ હુકમ તા.૨૫/૬/૨૦૨૩થી તા.૩/૭/૨૦૨૩ સુધી અમલી રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

સુરત શહેરનાં ભેસ્તાનમાં યુવતીની પરિવાર સાથે અણબનાવમાં સુખદ સમાધાન કરાવતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન

0
ક્રાંતિ સમય

સુરત શહેરના ભેસ્તાનમાં પરિવાર સાથે અણબનાવ થયો હોવાથી ઘરેથી નીકળી ગયેલી ભેસ્તાનની યુવતીની વ્હારે આવી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈને પરિવાર સાથે સુખદ સમાધાન કરાવ્યું હતું. વિગત મુજબ મદદ કરવાની ભાવનાથી એક જાગૃત્ત વ્યક્તિએ ૧૮૧ અભયમ પર કોલ કરી જણાવ્યું કે સુરતના વડોદમાં એક યુવતી ગુમસુમ બેઠી છે અને કોઈ તકલીફમાં હોય એવું જણાય છે, જેથી મદદ કરવા વિનંતી કરી હતી. જેથી કતારગામ અભયમ ટીમ સ્થળ પર પહોંચી યુવતી સાથે વાત કરતા જાણવા મળ્યું કે, ભેસ્તાન આવાસમાં રહેતી ૨૧ વર્ષની આ યુવતી ધો.૧૦ સુધી ભણેલી છે.

મૂળ ઉત્તરપ્રદેશના વતની અને ઘણા વર્ષોથી પરિવાર સાથે સુરતમાં રહે છે. માતાપિતા મરજી વિરુદ્ધ લગ્ન કરવા દબાણ કરતા હોવાથી ખટરાગ થયો હતો. તેના ફોઈ લગ્ન માટે જે છોકરો બતાવતા હતા તે ઉંમરમાં મોટો હોવાથી પસંદ ન હતો. તેણીએ લગ્નનો ઈન્કાર કરતા ફોઈ અપશબ્દ બોલતા હતા. જેથી વાત લાગી આવતા ઘરેથી નીકળી ગઈ હતી. અભયમ ટીમે સમજાવટથી કામ લઈને પરિવાર પાસે લઈ ગયા હતા. માતાપિતાને સમજાવ્યુ કે દીકરીને પસંદ નાં હોય તેવા વ્યક્તિ સાથે દબાણ આપીને લગ્ન કરાવવા અયોગ્ય છે. અન્ય કાયદાકીય માહિતી આપીને યુવતીની સારસંભાળ રાખવા કહ્યું હતું. માતાપિતા સહમત થયા હતા અને કોઈપણ પ્રકારના દબાણ ન કરતા તેને વિશ્વાસમાં લઈને તેની મરજી જાણીને સગાઈ તેમજ લગ્ન કરવાની ખાતરી આપી હતી. દીકરી સહી-સલામત મળવાથી પરિવારે ૧૮૧ અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.