ઝઘડાની અદાવતમાં બે થી વધુ આરોપીઓ યુવકને માર મારી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી નાસી છૂટ્યા.
સુરતઃ શહેરના છેવાડે આવેલા સચિન જીઆઈડીસી તલંગપુર ગામ તળાવ પાસે આવેલા નિકુંજભાઈ ભગવાનજીભાઈ સવસાણીના ફાર્મ હાઉસના પાછળના ભાગેથી ઓરિસ્સાવાસી યુવકની ચપ્પુના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરાયેલી લાશ મળી આવતા સ્થાનિક પોલીસ દોડતી થઈ ગઈ હતી. બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન શરૂ કર્યા છે. શહેરના સચીન પાલીગામ ખાતે આવેલી જલારામનગર સોસાયટીમાં રહેતા આશીષ સંજય પ્રધાન નામના યુવકની ગત તા.૨૦મી એપ્રિલના રવિવારે રાત્રે તલંગપુર ગામ, નિકુંજ ભગવાન સવસાણીના ફાર્મ હાઉસના પાછળના તળાવ પાસે શ્રીકાંત સુધાન્યા સ્વાઈન (રહે., શૈલેષ પટેલની ચાલ, પંચવટી, તલંગપુર રોડ, સચિન જીઆઈડીસી)એ તેના મિત્રો સાથે મળી જૂના ઝઘડાની અદાવત રાખી ઢીકમુક્કીનો મારમારી તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હતી. બનાવ સંદર્ભે સચિન જીઆઈડીસી પોલીસે મૃતક આશીષના મોટાભાઈ શ્રીધર પ્રધાનની ફરિયાદના આધારે આરોપી શ્રીકાંત સ્વાઈન સહિતના આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.